ચેન્નાઇ : સુપરસ્ટાર રજનીકાંતએ આખરે રાજનીતિમાંથી હંમેશની માટે વિદાય લેવાનો નિર્ણય બનાવી લીધો છે. સોમવારના રોજ તેઓએ આ અંગે જાહેરાત કરતા રજનીકાંતએ બનાવેલી પાર્ટી રજની મક્કલ મંદરમને પણ ભંગ કરી દીધી છે. આ મોકા પર રજનીકાંતએ જણાવ્યું કે, ‘ભવિષ્યમાં ફરીથી રાજનીતિમાં આવવાનો તેઓનો કોઇ જ પ્લાન નથી.’ રજનીકાંતએ વધુમાં એમ પણ જણાવ્યું કે, ‘બનાવવામાં આવેલું સંગઠન હવે ‘રજની રસીગર નરપાની મંદરામ’ ના નામથી જનતાની ભલાઇ માટે કામ કરશે.’
તમને જણાવી દઇએ કે, રજનીકાંતએ ૨૯ ડિસેમ્બર, ૨૦૨૦ ના રોજ જાહેરાત કરી હતી કે તેઓ રાજનીતિમાં નહીં આવે. પરંતુ તાજેતરમાં જ તેઓએ જણાવ્યું હતું કે, તેઓ રાજનીતિમાં આવવા માટે ફરીથી ચર્ચા કરશે. પરંતુ હવે તેઓએ અંતિમ નિર્ણય લેતા રાજનીતિમાં એન્ટ્રી મારવાના અનુમાનો પર પૂર્ણવિરામ લગાવી દીધું છે. તમને જણાવી દઇએ કે, રજનીકાંતના ફરીથી રાજનીતિમાં આવવાની ચર્ચાએ તમિલનાડુની રાજનીતિમાં હલચલ મચાવી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર ૨૦૨૦ માં ખુદ રજનીકાંતએ જણાવ્યું હતું કે, ‘તેઓ જાન્યુઆરી ૨૦૨૧માં પાર્ટી લોન્ચ કરશે. આ બધું જ તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી પહેલા થવાનું હતું. પરંતુ ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં તેઓએ યુ-ટર્ન લીધો અને કહ્યું હતું કે, ‘તેઓ રાજનીતિમાં સામેલ નહીં થાય.’ ત્યાર બાદ રજનીકાંતના સંગઠનના અનેક સભ્યોએ ડીએમકે સહિત અન્ય પાર્ટીઓને જોઇન કરી લીધી હતી.