ભારતની આઝાદીના ૭૫માં વર્ષે અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી…
અમદાવાદ : PM નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે ૧૦.૩૦ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા. ત્યારબાદ તેઓ દેશની આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણી માટે આઝાદી કા અમૃત મહોત્સવનું ઉદ્ઘાટન કરવા સીધા સાબરતમી ગાંધી આશ્રમ પહોંચ્યા છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી દ્વારા આઝાદીની લડત માટે યોજાયેલી દાંડી યાત્રાના અવસર પર આજે વડાપ્રધાન મોદી પણ દાંડી યાત્રાનું પ્રસ્થાન કરાવશે. સાબરમતી આશ્રમમાં પહોંચીને પીએમ મોદીએ હ્રદયકુંજમાં બાપૂની છબિને સૂતરની આંટી પહેરાવી હતી તેમજ ગાંધી આશ્રમ સ્થિત બાપૂની પ્રતિમાને પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી. ત્યારબાદ વડાપ્રધાને આશ્રમની વિઝિટર બુકમાં પોતાનો સંદેશ લખ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધી આશ્રમમાં ઐતિહાસિક દાંડી યાત્રાની યાદગીરીરૂપે રહેલી કેટલીક ચીજોને પણ નિહાળી અને માહિતી મેળવી હતી.
૯૧ વર્ષ પૂર્વે બાપૂના નેતૃત્વમાં મીઠાના કાળા કાયદા સામે વિરોધ વ્યક્ત કરવા અમદાવાદ સાબરમતિ આશ્રમથી નવસારીના દાંડી સુધી પદયાત્રા યોજવામાં આવી હતી. પીએમ મોદી પણ આ જ માર્ગ પર આજે દાંડી યાત્રાને પ્રસ્થાન કરાવશે. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિત ગુજરાત સરકારના મંત્રીઓ પણ ઉપસ્થિત છે. પીએમ મોદીએ ગાંધી આશ્રમમાં આઝાદી કા અમૃત મહોત્સવના ઉપક્રમે સાંસ્કૃતિ કાર્યક્રમોને પણ નિહાળ્યા હતા.