સુરેન્દ્રનગર : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું નામ સાંભળતાની સાથે જ ગુજરાતના ગૌરવસમા ઇતિહાસની ઝાંખી નજર સમક્ષ તરી આવે છે. રાજ્ય સરકારે મેઘાણી સ્મૃતિ સ્થાનો વિકસાવવા મોટું બજેટ ફાળવ્યું છે. પરંતુ કદાચ કોઇને ખબર નહીં હોય કે, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ પ્રાથમિક શિક્ષક રણકાંઠાના ઝીંઝુવાડામાં લીધું હતુ. થોડા સમય અગાઉ આ ઐતિહાસિક શાળામાં ખર્ચો કરી અદ્યતન બનાવવામાં આવી હતી. પરંતુ આ શાળાને ઐતિહાસિક દરજ્જો આપી એને વિકસાવવામાં આવે એવી માંગ ઉઠી છે.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું નામ સાંભળતાની સાથે જ “એ મારી જનનીના હૈયામાં, પોઢતા પોઢતા, અમે પીધો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ” હૈયામાં અને હોંઠ પર આવી ચઢે. ઝાલાવાડના ચોટીલા ગામમાં ૨૮ ઓગષ્ઠ ૧૮૯૬માં જન્મેલા ઝવેરચંદ મેઘાણીએ ૯ માર્ચ ૧૯૪૭માં બોટાદ ખાતે ૫૧ વર્ષે દેહનો ત્યાગ કર્યો હતો. સરકારે થોડા સમય અગાઉ મહાન રાજ્ય પ્રતિભાઓએ જે જે શાળામાં પ્રાથમિક શિક્ષણ સહિતનો અભ્યાસ કર્યો હોય તે તમામ શાળાને ઐતિહાસિક શાળા ઘોષિત કરી એની યોગ્ય જાળવણી કરવાનો વિચાર અમલમાં મુક્યો હતો. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થાન અને એમના અમર સર્જન સાથે સંકળાયેલા વિવિધ સ્થાનોને વિકસાવી લિટરેચર ટુરીઝમ શરૂ કરવાનો અભિનવ પ્રયોગ થઇ રહ્યોં છે.
જેમાં સૌરાષ્ટ્રની રસધાર અને સોરઠી બહારવટિયા જેવા યાદગાર સર્જનોના સાક્ષીરૂપ સ્થાનોને નવું કલેરવ મળશે. રાજ્ય સરકારે પ્રથમ તબક્કે ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતિ નિમીત્તે એમના જન્મસ્થાન અને કર્મભૂમિ સહિતના ઐતિહાસિક સસ્મરણોને વિકસાવવા બે કરોડનું બજેટ ફાળવ્યું છે.