વડોદરા : રાજ્યમાં કોરોનાના કારણે અમદાવાદ, સુરતની સાથે વડોદરાની સ્થિતિ પણ ભયંકર બની રહી છે. જેને લઈ ગઈકાલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વડોદરા આવ્યા હતા અને સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. આ સમયે તેમની સાથે મેયર કેયુર રોકડિયા, સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્યો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરાના મેયરનો ૨૫ માર્ચે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેની તેમણે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી. તેમણે લખ્યું હતું છેલ્લા ૩ , ૪ દિવસ થી કોરોના ના પ્રારંભિક લક્ષણો દેખાતા Covid-૧૯ માટે RTPCR ટેસ્ટ કરાવ્યો, જે પોઝિટિવ આવેલ છે. ડોક્ટર ની સલાહ પ્રમાણે હોમ ક્વોરંટાઇન છુ. છેલ્લા ૩ દિવસ દરમિયાન મારા સંપર્ક મા આવેલ સૌને કાળજી રાખવા તથા ટેસ્ટ કરાવી લેવા વિનંતી…! કોવિડ ગાઇડલાઇન પ્રમાણે કોરોના પોઝિટિવ આવ્યા બાદ કોઇપણ વ્યક્તિએ ૧૪ દિવસ હોમ ક્વોરન્ટાઈન રહેવું જરૂરી થે.
પરંતુ કેયુર રોકડિયા પોઝિટિવ થયાના ૯ દિવસ બાદ ગઈકાલે તેઓ સર્કિટ હાઉસ ખાતે નીતિન પટેલની મીટિંગ અને પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા. કોરોના નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ તેઓ મિટિંગમાં આવ્યા હોવાનો દાવો કર્યો હતો. પ્રેસ કોન્ફરન્સમાં તેઓ વિધાનસભા અધ્યક્ષ સાથે બેઠા હતા. આ દરમિયાન આજે વિપક્ષે મેયરની બેદરકારી ગણાવી તેઓ કોરોના સુપર સ્પ્રેડર બની શકે તેવો આક્ષેપ લગાવ્યો હતો.