મ.સ.યુનિ.ના સ્ટેટેસ્ટિક વિભાગના વિદ્યાર્થીઓનું મોબાઇલ યુઝર્સ પર રિસર્ચ…
વડોદરા : ૭૭ ટકા લોકો રાત્રીના સમયે મોબાઈલનો ઉપયોગ કરતા હોવાના કારણે ઉંઘના સમયમાં ફેરફાર થતાં ચીડિયાપણુ વધ્યુ છે. એમ.એસ.યુનિવર્સિટીના સ્ટેટેસ્ટિક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા રિસર્ચમાં આ તારણ નીકળ્યું છે. ૪ વિદ્યાર્થીઓ કિંજલ પાનરા, રેશમા શાહ, વિશાળ હરિજન અને બંસરી બાંભણીયાએ પોતાના ગાઈડ અને અધ્યાપક પ્રો.રાકેશ શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ શહેરના ફતેગંજ, વાસણા રોડ, પ્રતાપનગર અને હરણી રોડ એમ ચાર વિસ્તારના ૩૩૭ મોબાઈલ યુઝર્સને સર્વેમાં સામેલ કર્યા હતા.
જેમાં ૧૮ થી ૨૩ વર્ષની વય જૂથના ૭૭ ટકા યુવકો દિવસમાં ૪ કલાક કે તેથીવધુ સમય મોબાઈલ પાછળ વિતાવે છે. જ્યારે સર્વેમાં સરેરાશ ૭૭.૭૭ ટકા લોકોએ કહ્યુ હતુ કે, અમે રાત્રીના ૧૦ વાગ્યા બાદ પણ મોબાઈલનો ઉપયોગ થોડા કે વધારે સમય માટે કરતા હોઈએ છીએ. જેમાં૫૧ ટકા લોકોને ઉંઘવા માટે ૩૧ મિનિટનો સમય લાગી જાય છે. ૧૧ ટકા લોકો ૫ થી ૬ કલાક અને ૨.૭ ટકા લોકો ૫ કલાકથી ઓછી ઉંઘ લે છે.
સ્વાસ્થ્ય પર અસરો
માથામાં -કાનમાં દુખાવો
આંગળીઓ અને અંગૂઠામાં ઝણઝણાટી
આંખોમાં દુખાવો અને બળતરા
આંખમાંથી પાણી પડવુ
થાક લાગવો
ચિડિયાપણું
મોબાઇલ ફોનના વધુ વપરાશના કારણે આડ અસર પણ જોવા મળી છે. વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ૧૦.૪ ટકા વપરાશકર્તાઓએ મહિનામાં ત્રણ કે વધુ સમય ઉંઘની દવા લેવી પડતી હોવાનું બહાર આવ્યું હતું. ૦.૬ ટકા વપરાશકર્તાઓએ મહિનામાં એક કે બે વાર દવા લેવાનો વારો આવ્યો છે.