ભાવનગર : ભાવનગરમાં સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર પરિવાર દ્વારા દેશની સુરક્ષા કાજે નેશનલ ડીફેન્સ ફંડમાં આજે ફરી ૧ કરોડનું અનુદાન આપવામાં આવ્યું છે. બેંકના નિવૃત ક્લાર્ક જનાર્દનભાઈ ભટ્ટ અને તેના પત્ની પદ્માબેન દ્વારા રૂપિયા ૧ કરોડનો ચેક એડિશનલ ડી.આઈ.જી હસમુખ પટેલને અર્પણ કર્યો હતો. ૧ કરોડનું અનુદાન કરનાર જનાર્દનભાઈ ભટ્ટ દ્વારા સૈનિકોની સુરક્ષા અને દેશની સંરક્ષણ શક્તિ વધુ મજબુત બને તે માટે કરવામાં આવ્યું છે.
રાષ્ટ્રપ્રેમ-રાષ્ટ્રભાવના અને રાષ્ટ્રભક્તિ એ લોહીમાં સાથે મળેલી શક્તિ છે. આ પ્રેમ-ભાવના અને ભક્તિ ક્યારે જતાવવી તેનો કોઈ સમય નથી હોતો. ત્યારે ભાવનગરના એક ૮૪ વર્ષીય નિવૃત બેંક ક્લાર્કે એવુ કામ કર્યું છે જે યુવાનોને પણ શરમાવે. જનાર્દનભાઈ નાનપણથી જ આર.એસ.એસ સાથે સંકળાયેલા હતા. અને રાષ્ટ્ર માટે કંઈક કરવાની ભાવના પહેલેથી જ તેમના મનમાં હતા. આવા દિલેર રાષ્ટ્રપ્રેમી વ્યક્તિએ પોતાની મૂડીમાંથી અગાઉ પણ ૧ કરોડની રકમ નેશનલ ડિફેન્સ ફંડમાં જમા કરાવી હતી. ત્યારે આજે ફરી ૧ કરોડ રૂપિયાનો ચેક આપી રાષ્ટ્ર પ્રત્યેનું ઋણ અદા કર્યું છે. જર્નાદનભાઈએ એડિશનલ ડી.આઈ.જી હસમુખ પટેલને સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર પરિવારના નામે અર્પણ કર્યો હતો.