ઓકલેન્ડ : ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી૨૦ સીરિઝની પહેલી મેચમાં ડેવન કોનવેએ એક તોફાની પારી રમી હતી. જે બાદ ડેવન કોનવેની પારીના વખાણ થઇ રહ્યાં છે, ત્યારે ભારતીય ઓફ સ્પિનર આર અશ્વિને પણ તેના વખાણ કર્યા હતા. અશ્વિને પોતાના આગવા અંદાજમાં ડેવન કોનવેની તોફાની પારીના વખાણ કર્યા.
પ્રથમ ટી૨૦ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે માત્ર ૧૯ રનના સ્કોરે જ ત્રણ વિકેટ ગુમાવી હતી. જે બાદ બેટિંગ કરવા આવેલા કોનવેએ ૫૯ બોલમાં અણનમ ૯૯ રનની પારી રમી હતી. જે સાથે ટીમનો સ્કોર ૧૮૪ પર પહોંચ્યો હતો. જો કે, તે ૯૯ રને અણનમ રહ્યો અને પ્રથમ સદી ચૂકી ગયો. ૨૯ વર્ષીય ડેવન કોનવે આઇપીએલ ૨૦૨૧ની હરાજીમાં અનસોલ્ડ રહ્યો હતો. કોનવે ૫૦ લાખની બેઝ પ્રાઇસ સાથે આઇપીએલ ઓક્શનમાં સામેલ થયો હતો.
આ અંગે આર અશ્વિને ટિ્વટ કરતાં લખ્યું કે, ડેવન કોનવે માત્ર ચાર દિવસ મોડા પડી ગયા, પરંતુ શું શાનદાર પારી રહી. અશ્વિને આવું એટલા માટે કહ્યું કે, ૧૮ ફેબ્રુઆરીએ આઇપીએલની હરાજી હતી અને ૨૨ ફેબ્રુઆરીએ તેણે તોફાની પારી રમી. અશ્વિનનો કહેવાનો અર્થ હતો કે, જો તે ૧૮મી ફેબ્રુઆરીએ પણ આ પારી રમતો તો તેને કોઇ ખરીદનાર મળી જતો.