નડિયાદ : નડિયાદના સીઆરપીએફ જવાનનું હૃદય રોગના હુમલામાં નિધન થયું છે. શ્રીનગરના કુપડવાડામાં ફરજ દરમિયાન નડિયાદ શહેરમાં રહેતાં દિનેશભાઇ કેશવભાઇ મેટકરનું નિધન થયું હતું. આજે દિનેશભાઇના નશ્વર દેહને નડિયાદ લાવવામાં આવ્યો હતો અને સંપૂર્ણ સન્માન સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી. આ વખતે આખું ગામ હિબકે ચઢ્યું હતું.
નડિયાદ શહેરના એસઆરપી સામે રહેતા દિનેશભાઇ કેશવભાઇ મેટકર શ્રીનગરના કુપડવાડામાં સીઆરપીએફમાં ફરજ નીભાવી રહ્યા હતા. શ્રીનગરમાં પોતાની ફરજ પર હાજર હતા તે સમયે તેમને હૃદય રોગનો હુમલો આવ્યો હતો. જે બાદ તેઓને તુરંત જ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પણ હોસ્પિટલમાં તેમનું મોત નીપજ્યું હતું.
દિનેશભાઈનાં નિધનની જાણ નડિયાદ સ્થિત પરિવારજનોને કરવામાં આવતાં તેમનાં સ્વજનો ભાંગી પડ્યા હતા. અને પરિવારના માથે આભ ફાટી પડ્યું હતું. દિનેશભાઇના નશ્વર દેહને નડિયાદ લાવવામાં આવ્યો હતો. ત્રિરંગામાં લપેટાઈને દિનેશભાઈનો નશ્વર દેહ પહોંચતાં જ ગામમાં શોકનું લાગણી ફેલાઈ ગઈ હતી. પરિવારમાં માતમનો માહોલ હતો. પરિવારજનોનાં આક્રંદથી વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ હતી. આજે સંપૂર્ણ સન્માન સાથે દિનેશભાઈને અંતિમ વિદાય આપવામાં આવી હતી.