શ્રીનગર : પુલવામા હુમલાની બીજી વરસી પર જમ્મુ-કાશ્મીરમાં મોટા આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. જમ્મુ શહેરમાં બસ સ્ટેન્ડ નજીક ૭ કિલો વિસ્ફોટકોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યા છે. જે બાદ હાલ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા જવાનોનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
બીજી તરફ જમ્મુમાં આતંકવાદી ગતિવિધિની ઘટના બાદ સુરક્ષા એજન્સી પણ સતર્ક બની ગઈ છે. લશ્કર-એ-મુસ્તફાના આતંકવાદી મલિકની ધરપકડ અને સાંબામાં સુરંગ અને હથિયારોનું મળવું દર્શાવે છે કે, કાશ્મીરમાં પક્કડ ગુમાવી ચૂકેલા આતંકવાદી સંગઠનો હવે જમ્મુમાં ષડયંત્ર રચી રહ્યાં છે.
જણાવી દઈએ કે, પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI માટે જમ્મુ વિસ્તારનો સાંબા જિલ્લો ઘુસણખોરી અને હથિયારોને હેરાફેરી માટે સોફ્ટ ટાર્ગેટ બની રહ્યો છે. ઈન્ટરનેશનલ સરહદ હાઈવેના નજીક હોવાથી આતંકવાદીઓ લાભ ઉઠાવી રહ્યાં છે. જો કે આર્ટીકલ ૩૭૦ હટ્યા બાદ સેના અને પોલીસની સતર્કતાથી આતંકવાદીઓને નિષ્ફળતા સાંપડી રહી છે. સાંબા જિલ્લામાં હજુ પણ અનેક ઓવર ગ્રાઉન્ડ વર્કર કામ કરી રહ્યાં છે, જે પોલીસની પકડથી દૂર છે.
અગાઉ હીરાનગરના રસાનામાં ડ્રોનથી હથિયાર ઉતારવામાં આવ્યા હતા. આ હથિયાર ઉઠાવનારાને પોલીસે ઝડપી પાડ્યો હતો. તેને રસાનામાં એ જગ્યાએ લઈ જવામાં આવ્યો, જ્યાંથી તેણે હથિયાર ઉઠાવ્યા હતા. જે બાદ કાજીંગુંડમાં પણ બે લોકોએ એક ટ્રકમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમની પાસેથી હથિયારો કબ્જે કર્યા હતા.