અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજથી એટલે કે ૧૩મી ફેબુ્રઆરીથી યુજી-પીજીની ઓનલાઈન પરીક્ષાઓ શરૃ થઈ રહી છે. જે ૪૮ હજારથી વધુ વિદ્યાર્થી આપશે. રોજના પાંચ સ્લોટમાં પરીક્ષા લેવાશે.આ વખતની પરીક્ષામાં ગેરરીતિને રોકવા કડક નિયમો સાથે પરીક્ષા લેવાશે. ગુજરાત યુનિ.દ્વારા યુજી-પીજી સેમેસ્ટર ૩-૫ની પરીક્ષએમસીક્યુ આધારીત ઓનલાઈન પરીક્ષા શરૃ થનાર છે. બીબીએ-બીસીએ સેમેસ્ટર-૩, બી.કોમ,બીબીએ અને બીએ જર્નાલિઝમ સેમેસ્ટર -૩ , એમ.કોમ-એમ.એ સેમેસ્ટર -૩, બી.એડ સેમેસ્ટર-૩ સહિતની ૧૭ જેટલી પરીક્ષાઓ લેવાશે. ૧૯મીથી સુધી પરીક્ષાઓ ચાલશે અને રોજના પાંચ સ્લોટમાં પરીક્ષા લેવાશે. સવારે ૯ઃ૧૫થી પરીક્ષા શરૃ થશે અને છેલ્લે સાંજે પાંચમા સ્લોટમાં ૪ઃ૪૫ વાગે પરીક્ષા લેવાશે.
દરેક કોર્સની જે તે વિષયની પરીક્ષા એક એક કલાકની રહેશે અને વિદ્યાર્થીએ ફરજીયાત એક કલાકમાં ૫૦ પ્રશ્નોના જવાબ લખવાના રહેશે અને એક પ્રશ્ન માટે એક મીનિટ જ મળશે. ગત પરીક્ષામાં ૬ હજાર વિદ્યાર્થીઓ જ હતા છતાં અનેક છબરડા અને ગેરરીતિઓ થઈ હતી અને ઓનલાઈન પરીક્ષાના પરિણામમાં અનેક વિદ્યાર્થીઓએ પુરા ૧૦૦ ટકા માર્કસ મેળવી લીધા હતા.જેને લીધે મોટો વિવાદ થયો હતો.
આ વખતની પરીક્ષામાં ૪૮ હજારથી વધુ વિદ્યાર્થીઓ છે જેમા ૩ હજાર જેટલા વિદ્યાર્થીઓ રીપિટર સાથે બે સેમેસ્ટરમાં કોમન છે.ગેરરીતિ રોકવા માટે યુનિ.દ્વારા કડક નિયમો નક્કી કરવામા આવ્યા છે.સીક્યુરિટી ફીચર્સ વધારવામા આવ્યા છે. વિદ્યાર્થીઓને ખાસ સૂચના અપાઈ છે કે ચાલુ પરીક્ષા જો વિદ્યાર્થીએ સ્ક્રિન પર લાંબો સમય ન દેખાય અને બીજી સ્ક્રિન વિન્ડો ખોલશે કે ગુગલ પેજ ખોલશે તો ઓટોમેટિક પરીક્ષાથી બાકાત થઈ જશે.