Charotar Sandesh
ઈન્ડિયા

ગરીબ લોકોને સસ્તી દવા સાથે આવકનો સ્રોત મળ્યો : પ્રધાનમંત્રી મોદી

વડાપ્રધાને શિલોંગમાં ૭૫૦૦માં જન ઔષધિ કેન્દ્રનું ઉદ્ધાટન કર્યું…
જનઔષધિ કેન્દ્રોને કારણે ગરીબ-મધ્યમવર્ગને વર્ષે ૫૦ હજાર કરોડની બચત, લોકોનો જીવ બચાવવાથી વધુ સારું કામ કોઈ નથી…

ન્યુ દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જન ઔષધિ દિવસ કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મેઘાલયના શિલોંગમાં ૭૫૦૦માં જન ઔષધિ કેન્દ્રને દેશને સોંપ્યો. પીએમ મોદીએ કહ્યું કે જન ઔષધિ યોજનાને દેશના ખૂણા ખૂણામાં ચલાવનારા અને તેના કેટલાક લાભાર્થીઓ સાથે મારે જે ચર્ચા થઈ છે તેનાથી સ્પષ્ટ છે કે આ યોજના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોનો ખુબ મોટો સાથી બની રહી છે. આ યોજના સેવા અને રોજગાર બંનેનું માધ્યમ બની રહી છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ૧૦૦૦ થી વધુ જન ઔષધિ કેન્દ્ર તો એવા છે, જેને મહિલાઓ ચલાવી રહી છે. એટલે કે આ યોજના પુત્રીઓની આત્મનિર્ભરતાને પણ પ્રોત્સાહન આપી રહી છે. અઢી રૂપિયામાં સેનેટરી નેપ્કિન મળે છે અને ૧૧ કરોડથી વધુ પેડ્‌સ વેચાઈ ચૂક્યા છે.
તેમણે કહ્યું કે આ યોજનાથી પહાડી વિસ્તારોમાં, નોર્થ ઈસ્ટમાં અને જનજાતીય વિસ્તારોમાં રહેતા દેશવાસીઓ સુધી સસ્તી દવા આપવામાં મદદ મળી રહી છે. આજે જ્યારે ૭૫૦૦ માં કેન્દ્રનું ઉદ્ધાટન કરવામાં આવ્યું તો તે શિલોંગમાં થયું. તેનાથી સ્પષ્ટ છે કે નોર્થ ઈસ્ટમાં જન ઔષધિ કેન્દ્રોની ચેન કેટલી મોટી છે. તેમણે કહ્યું કે ૭૫૦૦ ના પડાવ સુધી પહોંચવું એટલા માટે પણ મહત્વનું છે કારણ કે ૬ વર્ષ પહેલા દેશમાં આવા ૧૦૦ કેન્દ્રો પણ નહતા. અમે જેટલું જલદી થઈ શકે, તેટલું જલદી ૧૦,૦૦૦ નો લક્ષ્યાંક પૂર્ણ કરવા માંગીએ છીએ. શું આપણે આઝાદીના ૭૫ વર્ષ માટે આવું કરી શકીએ કે દેશના ઓછામાં ઓછા ૭૫ જિલ્લાઓ એવા હોય કે જેમાં ૭૫થી વધુ જન ઔષધિ કેન્દ્ર હોય.
પીએમ મોદીએ આગળ કહ્યું કે આ કેન્દ્રો ગરીબોના ૩૬૦૦ કરોડ રૂપિયા બચાવી રહ્યા છે. જન ઔષધિ કેન્દ્રનો પ્રચાર થાય એટલે આ કેન્દ્રોનું ઈન્સેન્ટિવ અઢી લાખ રૂપિયાથી વધારીને ૫ લાખ રૂપિયા કરી દેવાયું છે. આ યોજનાથી ફાર્મા સેક્ટરમાં સંભાવનાઓનું એક નવું આયામ પણ ખુલ્યું છે. તેમણે કહ્યું કે આજે મેડ ઈન ઈન્ડિયા દવાઓ અને સર્જિકલ્સની માગણી પણ વધી છે. માગણી વધવાથી પ્રોડક્ટિવિટી પણ વધી છે. જેનાથી મોટી સંખ્યામાં રોજગારની તકો પેદા કરશે. લાંબા સમય સુધી દેશની સરકારી સોચમાં સ્વાસ્થ્યને ફક્ત બીમારી અને ઈલાજનો જ વિષય માનવામાં આવ્યો.
પીએમ મોદીએ કહ્યું કે સ્વાસ્થ્યનો વિષય ફક્ત બીમારી અને ઈલાજ સુધી જ સિમિત નથી, પરંતુ તે દેશના સમગ્ર આર્થિક અને સામાજિક તાણાવાણાને પ્રભાવિત કરે છે. આજે મોટા અનાજને માત્ર પ્રોત્સાહિત કરવામાં આવે છે એવું નથી, પરંતુ હવે ભારતની પહેલ પર સંયુક્ત રાષ્ટ્રે વર્ષ ૨૦૨૩ને ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્‌સ પણ જાહેર કર્યો છે. મિલેટ્‌સ પર ફોકસ કરવાથી દેશને પોષ્ટિક અનાજ પણ મળશે અને આપણા ખેડૂતોની આવક પણ વધશે.
તેમણે કહ્યું કે દેશને આજે પોતાના વૈજ્ઞાનિકો પર ગર્વ છે કે આપણી પાસે મેડ ઈન ઈન્ડિયા રસી આપણા માટે પણ છે અને દુનિયાની મદદ કરવા માટે પણ છે. આપણી સરકારે અહીં પણ દેશના ગરીબો, મધ્યમ વર્ગનું વિશેષ ધ્યાન રાખ્યું છે. આજે સરકારી હોસ્પિટલોમાં કોરોનાની રસી મફતમાં આપવામાં આવી રહી છે. પ્રાઈવેટ હોસ્પિટલોમાં પણ દુનિયાભરમાં સસ્તી એટલે કે ૨૫૦ રૂપિયાની રસી મૂકવામાં આવી રહી છે.

Related posts

ઝારખંડ : સીઆરપીએફ ટુકડી પર નક્સલી હુમલોઃ ૧૧ જવાન ઘાયલ

Charotar Sandesh

આખરે કુલભૂષણ જાધવની ફાંસી પર પ્રતિબંધ : CJI નો ભારતની તરફેણમાં ચુકાદો

Charotar Sandesh

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટિ્‌વટર પર ૭ કરોડ ફોલોઅર્સ : દુનિયાના સૌથી લોકપ્રિય નેતા બન્યા

Charotar Sandesh