ન્યુ દિલ્હી : દેશભરમાં આજથી સિનિયર સિટિઝન્સને કોરોના વેક્સીન લગાવવાની કામગીરી શરુ કરવામાં આવી છે ત્યારે કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યુ છે કે, વેક્સીન લગાવ્યાના ૪ કે ૧૦ દિવસ બાદ જો કોઈનુ મોત થાય તો તે માટે રસીને જવાબદાર માનવામાં ના આવે.
તેમના મતે જાણકારોએ એ વાતની ચકાસણી કરી છે કે, કોરોના વેક્સીન લગાવ્યા બાદ હજી સુધી એક પણ મોત થયુ નથી. રસી મુકાવ્યા બાદ હાથ પર સોજો આવવો કે તાવ આવવાના લક્ષણો પણ બહુ ઓછા લોકોમાં દેખાયા છે. વેક્સીન મુકાવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ થનારા લોકોની ટકાવારી ૦.૦૦૦૪ ટકા છે. જે ના બરાબર કહી શકાય.
ડો. હર્ષવર્ધને કહ્યુ હતુ કે, મને લાગે છે કે, પીએમ મોદીએ વેક્સીન મુકાવીને દેશને બહુ સ્પષ્ટ સંદેશ આપ્યો છે. હવે વેક્સીનને લઈને જેટલી પણ અફવાઓ અને શંકાઓ છે તેને ફગાવી દેવી જોઈએ. હું પહેલેથી જ કહેતો આવ્યુ છું કે, ભારતમાં બનેલી બંને વેક્સીન સેફ છે, અમે પીએમ મોદીના આભારી છીએ, તેઓ હંમેશા ઉદાહરણીય નેતૃત્વ પુરુ પાડતા રહ્યા છે. ૬૦ વર્ષથી વધુ વયના લોકોને દેશમાં વેક્સીન મુકવાનુ શરુ કરવામાં આવે તે પહેલા તેમણે રસી લીધી છે.