ચોથી ટેસ્ટમાં ભારતે ઇંગ્લેન્ડને એક ઇનિંગ્સ ૨૫ પરથી મ્હાત આપી
ચાર ટેસ્ટ મેચોની સિરિઝ ભારતે ૩-૧થી જીતી, અંતિમ ટેસ્ટની ચોથી પારીમાં સ્પિનર અશ્વિન-અક્ષરનો તરખાટઃ પાંચ-પાંચ વિકેટ ઝડપી
ભારત પ્રથમ ઇનિંગ્સમાં ૩૬૫ રનમાં ઓલઆઉટ થયું હતું, સુંદરે અણનમ ૯૬ રન બનાવ્યા
પંત મેન ઓફ ધ મેચ, ચાર ટેસ્ટમાં ૩૨ વિકેટ ઝડપનાર અશ્વિન મેન ઓફ ધ સિરીઝ
૧૮મી જૂને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ લૉડ્ર્સમાં રમાશેઃ ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ટક્કર
અમદાવાદ : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચમાં ભારતનો ભવ્ય વિજય થયો હતો. ભારતનો એક ઇનિંગ્સ અને ૨૫ રનથી વિજય થયો હતો. આ વિજય સાથે ભારત વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી ગયું છે. ભારતનો ઇંગ્લેન્ડ સામેની ચાર ટેસ્ટ મેચની ટેસ્ટ સિરીઝમાં ૩-૧થી વિજય થયો હતો. ભારતે ઇંગ્લેન્ડને બીજી ઇનિંગ્સમાં ૧૩૫ રનમાં ઓલઆઉટ કર્યું હતું. આ મેચના હીરો અક્ષર પટેલ અને આર અશ્વિન રહ્યા હતા. બંને જણે આ ઇનિંગ્સમાં પાંચ-પાંચ વિકેટ લીધી હતી. સદી ફટકારનાર પંતને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. જ્યારે ચાર ટેસ્ટ મેચમાં ૩૨ વિકેટ ઝડપનાર આર.અશ્વિનને મેન ઓફ ધ સિરીઝનો ખિતાબ જાહેર કરવામાં આવ્યો હતો.
ભારતના વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી ગયું છે અને એના ૫૨૦ અંકો છે. ભારતની સામે ફાઇનલમાં ન્યુ ઝીલેન્ડની ટીમ છે. ભારતે છ ટેસ્ટ સિરીઝ રમ્યું હતું. ભારતે આમાંથી એક પણ ટેસ્ટ સિરીઝ હાર્યું નથી. હવે ભારતે ૧૮ જૂને લોર્ડસમાં રમવાનું છે.
ટીમ ઈન્ડિયાને સિરીઝ જીતવવામાં રોહિત શર્મા, રિષભ પંત, સ્પિનર અક્ષર પટેલ અને અશ્વિનની મહત્વની ભૂમિકા રહી છે. રોહિત આ સિરીઝમાં સૌથી વધારે ૩૪૫ રન બનાવનાર ભારતીય રહ્યો. પંતે ૨૭૦ રન બનાવ્યા હતા.
આ પહેલાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી અને અંતિમ ટેસ્ટના પ્રથમ દિવસે ઇંગ્લેન્ડે અગાઉની મેચોનો દેખાવ જારી રાખી કંગાળ બેટિંગ કરતાં ૨૦૫ રનમાં ખખડ્યું થઈ ગયું હતું. જ્યારે પહેલા દિવસે રમતના અંતે ભારતે એક વિકેટ ગુમાવીને ૨૪ રન કર્યા હતા. પહેલી ઇનિંગ્સમાં અક્ષરે ચાર અને અશ્વિને ત્રણ વિકેટ લીધી હતી.
ટેસ્ટ મેચના બીજા દિવસે ઋષભ પંતે સદી ફટકારી હતી. એ સાથે પહેલી ઇનિંગ્સમાં રોહિતે ૪૯, પંત ૧૦૧, અને રહાણેએ ૨૭ રન કર્યા હતા. જ્યારે વોશિંગ્ટન સુંદરે ૯૬ રન બનાવીને નોટઆઉટ ઊભો હતો.
આ સાથે મેચના ત્રીજા દિવસે ભારતીય ટીમે પહેલી ઇનિંગ્સમાં ૩૬૫ રન બનાવ્યા હતા અને ૧૬૦ રનની લીડ લીધી હતી. વોશિંગ્ટન સુંદર સદી પૂરી નહોતો કરી શક્યો. એ પછી ભારતીય બોલરોએ રંગ રાખ્યો હતો. બીજી ઇનિંગ્સમાં ઇંગ્લેન્ડ ૧૩૫ રનમાં ઓલઆઉટ થઈ હતી. ટીમ ઇન્ડિયાના અક્ષર પટેલે આ ટેસ્ટ સિરીઝમાં ૨૭ વિકેટ લીધી હતી.
આ ટેસ્ટના વિજયની સાથે વિરાટ કોહલી કેપ્ટન તરીકે સૌથી વધુ વિજય મેળવનારા કેપ્ટનોની યાદીમાં ચોથા ક્રમે આવી ગયો છે.