પ્રધાનમંત્રીએ જણાવ્યો મીઠાનો અર્થ- મીઠું શ્રમ અને સમાનતાનું પ્રતિક…
આ અમૃત મહોત્સવ ૧૫ ઓગસ્ટ ૨૦૨૩ સુધી ચાલશે…
અમદાવાદ : ભારતની આઝાદીના ૭૫મા વર્ષે અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી શરૂ થઈ ગઈ છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાબરમતી આશ્રમથી દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવીને આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો. અમદાવાદ એરપોર્ટ પર ગુજરાતના પનોતા પુત્ર પીએમ નરેન્દ્ર મોદીનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. જે બાદ પીએમ મોદીનો કાફલો એરપોર્ટથી સીધા ગાંધી આશ્રમ પહોંચ્યો હતો. ગાંધી આશ્રમ પહોંચીને પીએમ નરેન્દ્ર મોદીએ ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી હતી. ત્યાર બાદ બોલિવૂડ સિંગર હરિહરન અને ઝુબિન નોટિયાલે પર્ફોર્મન્સ કર્યું હતું. જ્યારે પીએમ મોદીએ આઝાદીનો અમૃત મહોત્સવ વેબસાઇટ લોન્ચ કરી હતી. વડાપ્રધાન મોદીએ આઝાદીના અમૃત મહોત્સવમાં ભાગ લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી આશ્રમમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ આપી હતી. પીએમ મોદીએ સાબરમતી આશ્રમમાં વિઝીટર બુકમાં નોંધ પણ લખી હતી. દાંડી માર્ચના ૯૧ વર્ષ અને આઝાદીના ૭૫માં વર્ષને કેન્દ્ર સરકારે ‘આઝાદીના અમૃત મહોત્સવ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે.
હાલ પીએમ મોદી સાથે મુખ્યમંત્રી રૂપાણી, રાજ્યપાલ દેવવ્રત આચાર્ય અને સી.આર.પાટીલ પણ ઉપસ્થિત હતા. જાણીતા બોલિવૂડ સિંગર ઝુબિન નોટિયાલે દાંડી યાત્રા માટેનું ગીત ગાયું હતું.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ ઊજવણીમાં લોકભાગીદારી ખૂબ મહત્વની છે. પીએમ મોદીએ જણાવ્યું કે જનજન સુધી આ ચળવળને લઈ જવા માટે શાળા કૉલેજોએ પણ જોડાવું જોઈએ.
તેમણે કહ્યું, નાગરિકાનાં મૌલિક વિચારોથી અગણિત આઇડિયા બહાર આવશે. કેટલીક વાતો જનભાગીદારીથી બહાર આવશે. દેશનો કોઈ એવો નાગરિક ન હોવો જોઈએ જે અમૃત મહોત્સવથી જોડાયેલો ન હોય. પ્રધાનમંત્રી મોદીએ સભાને સંબોધતા જણાવ્યું કે, આજે આઝાદી અમૃત મહોત્સવનો પહેલો દિવસ છે. આ અમૃત મહોત્સવ ૧૫ ઓગસ્ટ ૨૦૨૩ સુધી ચાલશે. આઝાદીનો અમૃત મહોત્સવ એટલે- સ્વતંત્રતાની ઉર્જાનો અમૃત. આઝાદીનો અમૃત મહોત્સવ એટલે- સ્વાતંત્ર્ય સેનાનીઓના પ્રેરણાનું અમૃત. આઝાદીનો અમૃત મહોત્સવ એટલે- નવા વિચારોનું અમૃત, નવા સંકલ્પોનું અમૃત. આઝાદીનો અમૃત મહોત્સવ એટલે- આત્મનિર્ભરતાનું અમૃત. આપણા દેશમાં મીઠાને ક્યારેય તેની કિંમતથી નથી આંકવામાં આવ્યું. આપણા દેશમાં મીઠાનો અર્થ છે- પ્રામાણિકતા.
આપણા દેશમાં મીઠાનો અર્થ છે – વિશ્વાસ. આપણા દેશમાં મીઠાનો અર્થ છે – વફાદારી. આપણે આજે પણ કહીએ છીએ કે આપણે દેશનું મીઠું ખાધું છે. આ એટલા માટે નથી કારણ કે મીઠું ખૂબ મૂલ્યવાન વસ્તુ છે. આનું કારણ એ છે કે મીઠું આપણા દેશમાં શ્રમ અને સમાનતાનું પ્રતિક છે. ૧૮૫૭ નો સ્વતંત્રતા સંગ્રામ, મહાત્મા ગાંધીનું વિદેશથી પાછા ફરવું, દેશને સત્યાગ્રહની શક્તિની ફરી યાદ અપાવવી, લોકમાન્ય તિલકની સંપૂર્ણ સ્વરાજયનું આહ્વાન, નેતાજી સુભાષચંદ્ર બોઝના નેતૃત્વમાં આઝાદ હિન્દ ફૌજની દિલ્હી માર્ચ, દિલ્હી ચલોનું સૂત્ર કોણ ભૂલી શકે છે. દાંડીયાત્રાના ૯૧માં વર્ષની ઉજવણી દરમિયાન પીએમ મોદીએ દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. ગાંધીઆશ્રમથી ૮૧ પદયાત્રીઓની દાંડીકૂચ શરૂ કરી હતી. ૬ એપ્રિલ સુધી ચાલશે દાંડીયાત્રા. આઝાદીના અમૃત મહોત્સવનો પ્રારંભ કરાયો.