અમદાવાદ : થોડા દિવસ પહેલા ચર્ચિત થયેલી આઈશાની આત્મહત્યા બાબતે આજે પોલીસ દ્વારા કોર્ટમાં પતિ આરિફને લાવવામાં આવ્યો હતો અને ત્યાં પોલીસ દ્વારા ૫ દિવસના રિમાન્ડની માગ કરી હતી. જો કે, કોર્ટે ૩ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે આરોપીનો ફોન કબ્જે લેવા ઉપરાંત દહેજ, અન્ય યુવતી સાથેના સંબંધો લઈ પૂછપરછ કરવા રિમાન્ડ કરી માગણી કરી હતી. ફરિયાદીના વકીલ ઝફરખાન પઠાણ મુજબ, આઈશાએ મોતની ૧૦ મિનિટ પહેલા આરોપી પતિ સાથે બાળક અંગે વાતચીત કરી હતી.
આરોપીઓએ ભેગા મળી ત્રાસ આપ્યો હોવાની રજૂઆત કરી હતી. આયશાના પરિવારજનોએ પત્રકાર પરિષદ કરીને સાસરિયાએ ત્રણ દિવસ સુધી ભૂખી રાખી હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે દહેજને લઇને માનસિક ત્રાસ આપવા અને બીજી છોકરી સાથે અનૈતિક સંબંધોના કારણે આયશાએ આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું હતું.
આરીફ ખાનને ફાંસી આપવાની સતત માગ કરવામા આવી રહી છે. આરીફ અને તેના માતા સાયરાબાનુ અને પિતા બાબુખાનના આ ઘટનાને લઈને પોલીસની એક ટીમ રાજસ્થાન પહોંચીને તપાસ કરતા સમગ્ર પરિવાર ફરાર થઈ ગયો છે ત્યારે આયશાના પિતા અને વકીલે પોલીસની કાર્યવાહીને લઈને સવાલ ઉઠાવ્યો છે.