અમદાવાદ : ઈન્ડિયન પ્રીમિયર લીગ ઉપર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. કેકેઆરના બે ખેલાડીઓ પોઝિટિવ આવ્યા બાદ હવે ચેન્નાઇ સુપર કિંગ્સના પણ ૩ સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે. ક્રિકઇન્ફોના રિપોર્ટ મુજબ ચેન્નાઇ સુપર કિંગના સીઇઓ કાશી વિશ્વનાથન, બોલિંગ કોચ એલ.બાલાજી અને બસ ક્લિનરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે ટીમના બાકીના સભ્યોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સીએસકેના સભ્યોનો કોરોનાનો રિપોર્ટ રવિવારે કરવામાં આવ્યો હતો.
ટીમ દિલ્હીમાં છે અને બુધવારના રોજ રાજસ્થાન રોયલ્સ સામે તેમનો મુકાબલો થવાનો છે. આ બધા વચ્ચે ટીમના પ્રેક્ટિસ સેશનને પણ રદ્દ કરી દેવામાં આવ્યું છે. બીજી બાજુ દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પાંચ ગ્રાઉન્ડ સ્ટાફ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે અને તેમને આઇસોલેટ કરી દેવામાં આવ્યા છે.
કોરોનાનો કહેર હવે IPLપર પણ જોવા મળી રહ્યો છે. સોમવાર એટલે કે આજે રમાનારી કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મેચને કેન્સલ કરવામાં આવી છે. મળેલી જાણકારી પ્રમાણે, કોલકાતાના બે ખેલાડીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. જેના પછી આ નિર્ણય કરવામાં આવ્યો છે. IPL ૧૪મી સીઝનની ૩૦મી મેચ આજે અમદાવાદ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાવાની હતી.
કોરોના સંક્રમણ કાળમાં BCCIએ મજબૂત બાયો બબલનું મેનેજમેન્ટ કર્યું હોવાનું કહ્યું હતું, જેના પછી અત્યાર સુધીમાં ૨૯ મેચ સફળતાપુર્વક રમાઈ હતી. ચેન્નાઈ અને મુંબઈમાં રમાવાની દરેક મેચો પૂરી થઈ ગઈ છે. પરંતુ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સીઝનની ૩૦મી મેચને હાલમાં કેન્સલ કરવામાં આવી છે. છેલ્લા અઠવાડિયાથી ભારતમાં કોરોના સંક્રમણના રોજના ૩ લાખથી વધુ કેસો સામે આવી રહ્યા છે.
તેવામાં વિદેશી ક્રિકેટરો કોરોનાના સંક્રમણને જોતા તેમાંથી ખસી ગયા છે. જ્યારે ભારતીય ખેલાડી આર અશ્વિનચંદ્ર પણ પર્સનલ કારણોને લીધે ખસી ગયો છે. સતત ૪ જીત સાથે એક સમયે પહેલા ક્રમે ચાલી રહેલી વિરાટ કોહલીના કેપ્ટનસીવાળી RCB ટીમે છેલ્લી ૩ મેચોમાંથી ૨માં હાર મેળવતા તે પોઈન્ટ ટેબલમાં ૩જા ક્રમે પહોંચી ગઈ છે. ભારતમાં વધતા કેસોને જોઈને ક્રિકેટ બોર્ડે બાયો બબલના કેટલાંક નિયમોમાં પણ ફેરફાર કરેલા જોવા મળ્યા હતા.
આ ફેરફારમાં પહેલા દરેક ખેલાડીનો પાંચ દિવસે કોરોના ટેસ્ટ થતો હતો પરંતુ હવે દર બે દિવસે તેમનો ટેસ્ટ કરવામાં આવશે. તે સિવાય ખેલાડીઓને હોટલનું જ ખાવાનું ખાવું પડશે. આમ છત્તાં ખેલાડીઓને સંક્રમિત થતા રોકી શકાયા નથી. જે ખેલાડી સંક્રમિત થયા છે તેમાં વરુણ ચક્રવર્તી અને સંદીપ વોરિયરનો સમાવશે થાય છે. બંને ખેલાડીના નામની જાહેરાત ક્રિકેટ બોર્ડ ઓફિશિયલ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. કોલકાતા નાઈટ રાઈડર્સના બે ખેલાડી પોઝિટિવ મળી આવતા ઇઝ્રમ્ની ટીમમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યા છે, તેવામાં મેનેજમેન્ટ દ્વારા ખેલાડીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આજની મેચ કેન્સલ કરવાનો નિર્ણય લીધો છે.