અનંતનાગ : જમ્મુ-કાશ્મીરમાં બુધવારે રાત્રે અનંતનાગ એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કર્યા છે. સુરક્ષાદળો અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત ઓપરેશનમાં આ એન્કાઉન્ટર અનંતનાગ જિલ્લાનાં કાદીપોરા ગામમાં કરી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ ગુરુવારે આ માહિતી આપી.
કાશ્મીરનાં આઈજીપી વિજય કુમારે કહ્યું કે, અનંતનાગ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકીઓની સંખ્યા વધીને બે થઈ ગઈ છે. આઈજીપી વિજય કુમારે કહ્યું, અનંતનાગનાં કાદીપોરા ગામમાં બે આતંકવાદીઓ માર્યા ગયા. તેઓ સ્થાનિક આતંકવાદીઓ દેખાઇ રહ્યા છે. આતંકવાદ વિરોધી કામગીરીની સંખ્યા વધી રહી છે.
પોલીસ અધિકારીએ ગુરુવારે જણાવ્યું કે, સુરક્ષાબળોએ બુધવારે બિજબિહાડાનાં કાંદીપોરામાં ઘેરાબંધી કરી હતી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દરમિયાન, આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ કર્યું હતું, જેના પછી સૈન્યએ જવાબી કાર્યવાહી કરી હતી. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે અને તેમની ઓળખ થઈ રહી છે. આ અભિયાન હજી ચાલુ છે.